તુનિષા શર્માના અંતિમ સંસ્કારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા, હાજર સૌ કોઈની આંખો ભીની
20 વર્ષીય ટીવી-એક્ટ્રેસ તુનિષા શર્માના અંતિમ સંસ્કારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. અભિનેત્રીને અંતિમ સંસ્કારમાં આવેલા અનેક સેલેબ્સ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. તેમજ અભિનેત્રીની માતા લાડલી દીકરીને ડેડ બોડી જોઈને વાંરવાર બેભાન થઈ જતા હતા. એકની એક દીકરીએ આ રીતનું પગલું ભરતાં માતા વનીતાને ઘેરો આઘાત લાગ્યો છે.
તુનિષાની માતાના રડી રડીને બેહાલ
તુનિષાની માતા સોમવાર, 26 ડિસેમ્બરની રાત્રે પરિવાર સાથે ભાયંદરની હોસ્પિટલ આવી હતી. અહીં તુનિષાની ડેડબૉડી રાખવામાં આવી છે. વનીતા શર્માને બે લોકોએ પકડી રાખ્યા હતા. વનીતા સરખી રીતે ચાલી પણ શકતાં નહોતાં. દીકરીની ડેડબૉડી જોયા બાદ તેઓ એકદમ બેભાન જેવા થઈ ગયાં હતાં. તેમને બેશુદ્ધ હાલતમાં જ હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવ્યાં હતાં.
વીડિયો વાઇરલ
તુનિષાની ડેડબૉડી હોસ્પિટલમાં મૂકવામાં આવી હતી અને તેની માતા વનીતાના વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. વનીતા શર્મા પરિવાર સાથે હોસ્પિટલ આવ્યાં હતાં. તુનિષા શર્માના આજે એટલે કે 27 ડિસેમ્બરના રોજ અંતિમસંસ્કાર કરવામાં આવે એવી શક્યતા છે.
માતાએ તુનિષાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
તુનિષાની માતાએ સિરિયલ ‘અલીબાબા દાસ્તાને કાબુલ’ના કો-સ્ટાર શિજાન ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. શિજાન 28 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે.
શિજાને શું કહ્યું?, પોલીસ લવ-જિહાદ એંગલથી તપાસ કરશે
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિજાને પોલીસ-પૂછપરછમાં મહત્ત્વની માહિતી આપી છે. શિજાને પ્રાથમિક પૂછપરછમાં એવું કહ્યું હતું કે બંને રિલેશનશિપમાં હતાં, આ વાત સાચી છે, પરંતુ બંનેના ધર્મ અલગ હતા અને ઉંમરમાં પણ તફાવત હતો. શિજાન 28નો તો તુનિષા 20 વર્ષની હતી. શિજાને એમ પણ કહ્યું હતું કે શ્રદ્ધા મર્ડર કેસ પણ તેમના સંબંધો તૂટવા પાછળ જવાબદાર છે. એ સમયે દેશમાં જે રીતનો માહોલ હતો એનાથી તે અપસેટ હતો. પોલીસે કહ્યું હતું કે તેઓ લવ-જિહાદ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે.
પોલીસને શિજાનની વાતો પર વિશ્વાસ નથી
પોલીસને શિજાનની આ વાતો પર વિશ્વાસ નથી, કારણ કે તુનિષાના પરિવારનો આક્ષેપ છે કે શિજાન એકસાથે અનેક યુવતીઓ સાથે રિલેશનશિપમાં હતો. શિજાને તુનિષાને પ્રેમમાં દગો આપ્યો હતો. શિજાન આ બધાથી બચવા માટે ઉંમર તથા ધર્મની વાતો કહી રહ્યો છે. જોકે હવે પોલીસ એ જાણવા માગે છે કે શિજાન ઈચ્છતો હતો કે તુનિષા ધર્મ બદલીને તેની સાથે લગ્ન કરે? વધુમાં તુનિષાની માતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શિજાને લગ્નનું વચન આપીને બ્રેકઅપ કર્યું હતું.
આ પહેલાં પણ તેના કોઈ યુવતી સાથે સંબંધો હતો. ત્યાર બાદ પણ તેણે તુનિષા સાથે રિલેશન રાખ્યા. તેણે મારી દીકરીનો ત્રણ-ચાર મહિના યુઝ કર્યો. તુનિષાની માતાએ એક વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેમાં તે કહે છે કે તેને (શિજાન) સજા મળવી જોઈએ. શિજાનને છોડવો જોઈએ નહીં. તેની દીકરી તો જતી રહી. બસ મીડિયા કોપરેટ કરે છે અને તે આભાર માને છે. તો તુનિષાના કાકા પવન શર્માએ કહ્યું હતું કે તુનિષાએ થોડા દિવસ પહેલાં તેમને ફોન કર્યો હતો. તે ઘણી જ અપસેટ હતી. તેણે કહ્યું હતું કે તેની સાથે ખોટું થયું છે. તેને ચીટ કરવામાં આવી છે.
શિજાન પૂછપરછ દરમિયાન રડી પડ્યો
‘આજ તક’ના અહેવાલ પ્રમાણે, પોલીસ સ્ટેશનમાં શિજાન પૂછપરછ દરમિયાન રડી પડ્યો હતો. શિજાન છેલ્લા બે દિવસથી તુનિષા સાથેના બ્રેકઅપ અંગેની અલગ અલગ વાતો કહી રહ્યો છે. મહિલા અધિકારીએ કહ્યું હતું કે પહેલાં શિજાન એકદમ ચૂપ રહેતો હતો. તેના હાવભાવ જોઈને કંઈપણ અંદાજો લગાવી શકાતો નહોતો, જોકે 26 ડિસેમ્બરની રાત્રે તે રડવા લાગ્યો હતો.
15 દિવસમાં સંબંધો ખરાબ થયા
પોલીસના જણાવ્યા પ્રમાણે, તુનિષાની માતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે છ મહિના પહેલાં જ તુનિષા એક્ટર શિજાન સાથેના સંબંધોથી ખુશ હતી. તેણે આ વાત કહી હતી. જોકે 15 દિવસ પહેલાં જ શિજાને બ્રેકઅપ કર્યું હતું અને તે આ વાતથી ઘણી જ અપસેટ હતી. તુનિષાની માતાએ દીકરીએ શિજાનને કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
તુનિષાએ આ પહેલાં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિજાને પૂછપરછમાં કહ્યું હતું કે તુનિષાએ થોડા દિવસ પહેલાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ સમયે તેણે તુનિષાને બચાવી લીધી હતી. તેણે આ અંગે તુનિષાની માતાને પણ કહ્યું હતું અને તુનિષાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. પોલીસ શિજાનના નિવેદનની ખરાઈ કરી રહી છે.
સુસાઇડ પહેલાં સાથે લંચ કર્યું હતું
વસઈ પોલીસને આ વાતની પણ માહિતી મળી છે કે તુનિષાએ સુસાઇડ કર્યું એના કલાકો પહેલાં શિજાન સાથે લંચ પણ કર્યું હતું. શિફ્ટનું શૂટિંગ પૂરું થયા બાદ મેકઅપ રૂમમાં શિજાન તથા તુનિષાએ બપોરના ત્રણ વાગ્યે સાથે લંચન કર્યું હતું. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે 15 મિનિટમાં એવું તો શું બન્યું કે તુનિષાએ 3.15 વાગ્યે આત્મહત્યા કરી લીધી.
શિજાનના ફોન ફોરેન્સિક લેબમાં મોકલ્યા
પોલીસે તુનિષા તથા શિજાનના મોબાઇલ ફોન ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલ્યા છે. પોલીસને શંકા છે કે લંચ દરમિયાન મેકઅપ રૂમમાં બંને વચ્ચે કંઈક થયું હશે અને તુનિષાએ આ પગલું ભરી લીધું.
શિજાનની માતા ને બહેનનાં નિવેદન સામે આવ્યાં
આ પહેલાં શિજાનની માતાનું સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘હું માત્ર એટલું જ કહી શકીશ કે તુનિષા ઘણી જ પ્રેમાળ હતી. તે મારી દીકરી જેવી હતી. આ કેસમાં પોલીસ તપાસ કરે છે અને શિજાન પણ પોલીસને સહયોગ આપી રહ્યો છે. સત્ય સામે આવીને રહેશે.’ શિજાનની બહેને પણ આ જ વાત કહી હતી.
તુનિષા લોકપ્રિય એક્ટ્રેસ હતી
20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના ‘વીર પુત્ર-મહારાણા પ્રતાપ’થી કરી હતી. તે ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’, ‘ગબ્બર પુંછવાલા’, ‘શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ’, ‘ઈન્ટરનેટ વાલા લવ’ અને ‘ઈશ્ક શુભાન અલ્લાહ’ જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ ‘ફિતૂર’માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે ‘અલીબાબા દાસ્તાને કાબુલ’માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી. આ સિવાય તુનિષાએ બાળકલાકાર તરીકે ‘બાર બાર દેખો’, ‘કહાની-2’, ‘દબંગ-3’ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે.