પરિવારે ઢોલ-નગારા સાથે ગાયની અંતિમયાત્રા કાઢી, સમસ્ત ગામ ઉમટી પડ્યું, દરેકની આંખો ભીની થઈ
ભાવનગરઃ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ચર્ચાઓ દેશભરમાં ચાલી રહી છે, ત્યારે ગુરુવારે વલ્લભીપુરના તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયનું વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. ગામમાં કામધેનુનું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવારે ઢોલ-શરણાઈના સુર સાથે ગૌમાતાની અંતિમયાત્રા યોજી હતી. 10 વર્ષથી વિયાંણી ન હોવા છતા ગૌ માતા આપતી હતી દુધ.
કામધેનુએ દેહ ત્યાગ કરતા ગામમાં શોકવલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામના રહેવાસી અજીતસિંહ અમરસિંહ મોરીએ એક દાયકા કરતા વધુ સમયથી એક ગાયના સૌરક્ષક હતા.
પરિવારના સભ્યની સાથે હળીમળી ગયેલી ગાય છેલ્લા 10 વર્ષોથી વિયાંણી ન હોવા છતાં નિયમિત પણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામ સમસ્તમાં આ ગાય કામધેનુના ઉપનામે ખ્યાતિ પ્રાપ્ત હતી. વધતી વયને લઈને ગુરુવારે આ કામધેનુએ દેહ ત્યાગ કરતા ગામમાં શોક વ્યાપી ગયો હતો.
શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવી ગાયના સૌરક્ષક એવા અજીતસિંહ મોરીએ આ દુઃખદ ક્ષણે જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે આ ગાય માતા સાચા અર્થમાં કામધેનુ હતી. જેના સાનિધ્યમાં અમો સુખી-સંપન્ન થયા છીએ. 10 વર્ષથી વગર વિયાંણે આ કામધેનુ દૂધ આપતી હોવાથી સ્થાનિકોમાં પણ ભારે અચરજ સાથે આસ્થાભાવ જાગૃત થયો હતો.
આવી ગૌ માતાના નિધનથી ગ્રામીણો શોકાતુર બન્યા હતા. સ્વજનની અંતિમયાત્રાની માફક જ ગાયની અંતિમયાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.