FEATURES

20 વર્ષીય પરિણીતા 50 દિવસ સુધી મોત સામે લડી

અકસ્માતના 50 દિવસે મોત થયું હોવાની એક ઘટના સામે આવી છે. સુરતની 20 વર્ષીય પરિણીતાએ દોઢ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને ગત ધનતેરસના દિવસે પતિ-પત્ની બાઇક પર વતન જવા નીકળ્યાં હતાં. દરમિયાન અંકલેશ્વર પાસે કારે અડફેટે લેતાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં, જોકે 50 દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત થયું છે.

મળતી માહિતી પ્રમાણે, મૂળ વિસાવદર અને સુરતના પુણા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં પરિવાર સાથે રહેતી હતી. જીનલે દોઢ વર્ષ પહેલાં હિતેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યાર બાદથી સુરત ખાતે પરિવાર સાથે રહેતાં હતાં. દિવાળી પહેલાં વતન જવા માટે પતિ-પત્નીએ નિર્ણય કર્યો હતો.

અજાણ્યા કારચાલકે બંનેને અડફેટે લીધા હતા
ગત 10 નવેમ્બર અને ધનતેરસના દિવસે બાઇક લઈને સુરતથી વતન જવા નીકળ્યાં હતાં. દરમિયાન બંને અંકલેશ્વર નજીકથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લીધા હતા. એને પગલે બંનેને ગંભીર ઇજા થઈ હતી. જેથી બંનેને નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

પગનાં 4 ઓપરેશન કરાયાં હતાં
જીનલના બંને પગ કચડાઈ ગયા હતા. જ્યારે હિતેશને પણ બંને પગ વચ્ચે ગંભીર ઇજા થઈ હતી. જીનલની છેલ્લા 50 દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન જીનલના પગનાં 4 ઓપરેશન પણ કરવામાં આવ્યાં હતાં. તબીબો દ્વારા યુવતીને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે રાતે યુવતીએ દમ તોડ્યો છે.

પતિની પણ હાલત ગંભીર
દોઢ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન કરનાર દંપતીમાંથી પત્નીનું મોત થતાં દંપતી વિખાયું છે. યુવતીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ તો યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે યુવતીના પતિની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મોતના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યો
જીનલ અને હિતેશ એક જ ગામના વતની છે. મોટી મોણપરીમાં બંને પાડોશી હતાં. હિતેશ સુરત રહેતો હતો અને જીનલ મોટી મોણપરી ખાતે રહેતી હતી. જોકે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં દોઢ વર્ષ પહેલાં બંનેએ પ્રેમલગ્ન કર્યાં હતાં. હિતેશ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. હાલ હિતેશ જીનલના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યો છે.

Advertisement