NATIONAL

પહેલાં રેપનો કેસ કર્યો હવે મંદિરમાં તે જ યુવક સાથે પરિવાર વિરુદ્ધ જઈને ફર્યા ફેરા

પ્રેમિકાએ પુખ્તવયની થવા પર પરિવારજનોની વિરુદ્ધ જઈ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. પ્રેમિકાના પરિવારજનોના વિરોધને કારણે જ યુવક પર અપહરણ અને બળાત્કારનો કેસ નોંધવામા આવ્યો હતો, આ સાથે જ યુવકે જેલમાં 5 મહિના રહેવું પડ્યું હતું. હાઈકોર્ટથી પ્રેમીને જામીન મળ્યા પરંતુ બંને એકબીજાને મળી શક્યા નહીં. હવે યુવતી 18 વર્ષની થઈ ત્યારે તેણે પ્રેમ કહાણી જણાવી પ્રેમી પરનો કેસ પરત લઈ લીધો હતો.

ઉત્તર પ્રદેશના અલગીઢમાં પરિવારજનોના વિરોધ બાદ પણ યુવતીએ મંદિરમાં હિંદુ પરંપરા અનુસાર પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. યુવતીએ જીવનું જોખમ હોવાને કારણે મુખ્યમંત્રી, એસએસપી, મહિલા આયોગ પાસે સુરક્ષાની માંગ કરી છે. આ ઘટના જયગંજ વિસ્તારની છે. પરિવારજનોના દબાણ બાદ પણ યુવતીનો પ્રેમ ઓછો થયો નહીં અને તે પોતે પુખ્તવયની થાય તે સમયની રાહ જોતી હતી. બીજી તરફ અપહરણ અને બળાત્કારના ખોટા કેસ બાદ પણ પ્રેમી પોતાની પ્રેમિકાને મળવાની રાહ જોતો રહ્યો.

3 વર્ષ અગાઉ પંચનગરીમાં રહેતી ખુશી પાઠકને કોચિંગમાં ભણતા વરુણ સાથે પ્રેમ થયો હતો. જયગંજમાં રેહતો વરુણ પણ ખુશીના પ્રેમમાં પડ્યો. બંનેના પ્રેમ સંબંધ આગળ વધતા પરિવારજનો તેનાથી ખુશ નહોતા. બંને ઘર છોડી ભાગ્યા પરંતુ ખુશીના પિતા પ્રેમચંદ્રએ પોલીસ સમક્ષ અપહરણ અને દુષ્કર્મનો કેસ કર્યો હતો. પોલીસે ત્યારે બંનેને શોધી લીધા અને પ્રેમીને બળાત્કાર તથા અપહરણના આરોપમાં જેલ ભેગો કર્યો હતો. ખુશી ત્યારે કંઈપણ ના કરી શકે કારણ કે તે સમયે સગીર વયની હતી. પરિવારજનોના વિરોધને કારણે ખુશી 3 વર્ષ સુધી ચૂપ રહી.

વરુણને 5 મહિના જેલમાં રહ્યાં બાદ હાઈકોર્ટથી જામીન મળ્યા. 31 માર્ચ 2021ના ખુશી પાઠક 18 વર્ષની થઈ હતી અને તે પછી પોતાની મરજી અનુસાર નિર્ણય લેવા સ્વતંત્ર હતી. હાલમાં જ ખુશીએ કોર્ટમાં પોતાના વકીલને રજૂ કરી જજ સામે તેના અને વરુણના પ્રેમસંબંધોની કહાણી જણાવી.

ખુશીએ કોર્ટમાં વરુણ વિરુદ્ધ ચાલતા કેસને પરત ખેંચ્યો હતો. કેસ પરત લીધા બાદ ખુશી અને વરુણે મંદિરમાં લગ્ન કર્યા. આ સમયે વરુણના પરિવારજનો હાજર રહ્યાં. જોકે ખુશીના પિતા લગ્નની વિરુદ્ધમાં હોવાને કારણે તેના પરિવારજનો લગ્નમાં સામેલ થયા નહોતા. ખુશીએ પોતાના પરિવારથી જીવનું જોખમ હોવાને કારણે સુરક્ષાની માંગ કરી હતી.

ખુશીએ કોર્ટને જણાવ્યું કે, તે પુખ્તવયની થઈ હોવાથી તેણે વરુણની તરફેણમાં નિવેદન આપ્યું હતું. હવે પોતાની મરજીથી જ વરુણ સાથે લગ્ન કરી રહી છે. તેઓ અગાઉ પુખ્તવયના ના હોવાને કારણે લગ્ન કરી શક્યા નહોતા.

Advertisement