GUJARAT

સાળંગપુર દાદાના દરબારમાં એતિભવ્ય રંગોત્સવ ઉજવાયો, ભક્તો પણ રંગાયા દાદાના રંગમાં, જુઓ તસવીરો

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધુળેટી પર્વની રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 51 હજાર નેચરલ કલર અને 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 70 ફૂટ જેટલા ઊંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા. 60 જેટલા નાસિક ઢોલના તાલે હજારો ભક્તો ઝૂમી ઊઠ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા.

દાદાને હોળી-ધુળેટીના દિવસે વિશેષ શણગાર કરાયો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આજે ધુળેટીના પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે દાદાને હોળી-ધુળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાને અલગ અલગ કલરથી રંગવામાંઆવ્યા હતા. અને ત્યાર બાદ રંગોત્સવનો પ્રારંભ કરાયો હતો.

60થી 70ફૂટ ઊંચા કલરના 400 જેટલા બ્લાસ્ટ કરાયા
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા. અલગ અલગ પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોની સાથે હજારો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી.

મંદિર પરિસરમાં સપ્તધનુષ્યની થીમ ઉપર 60થી 70 ફૂટ ઊંચા કલરના 400 જેટલા બ્લાસ્ટ કરાયા હતા. તો 10 હજાર કિલો કલરને એરપ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો. જ્યારે 60 નાસિક ઢોલના તાલે ભક્તોએ ધૂમ મચાવી હતી અને ભક્તોએ હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવીને હનુમાનજી દાદાનાં સાંનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો.

ભક્તો રંગોત્સવની મોજ માણી ભક્તિના રંગે રંગાયા
ધુળેટી પર્વ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવી પહોંચ્યા હતા અને હનુમાનજી દાદાનાં દિવ્ય દર્શન કરીને દાદાનાં સાંનિધ્યમાં ભવ્ય રંગોત્સવની મોજ માણીને દાદાની ભક્તિના રંગે રંગાયા હતા.

હરિભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો અને દાદાનાં સાંનિધ્યમાં ધુળેટી પર્વની ઉજવણી કરવાનો લાભ મળતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં હરિભક્તો દાદાનાં સાંનિધ્યમાં ભવ્ય રંગોત્સવની ઉજવણી કરીને દાદાની ભક્તિના રંગે રંગાયા હતા.

Advertisement